સુરત : મોરાભાગળ સ્થિત ગુરૂકૃપા વિદ્યાલયમાં નવા વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે શિક્ષકોને તાલીમબદ્ધ કરવા ડૉ.નૈલેષ પટેલના નેતૃત્વમાં ટીચર્સ ટ્રેનિંગનું આયોજન થયેલ હતું. અડાજણ વિસ્તારની વિવિધ શાળાઓના 150 જેટલા શિક્ષકોએ અદ્યતન પેડાગોજીકલ પદ્ધતિઓથી તાલીમબદ્ધ થવા ટીચર્સ ટ્રેનિંગમાં ભાગ લીધો.
શિક્ષણવિદ્ અશ્વિન પ્રજાપતિ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનિતી અંતર્ગત વિદ્યાર્થીઓને મૌલિક વિચારધારા, અભ્યાસક્રમની સમજૂતિ તથા શિક્ષણપદ્ધતિઓમાં સુધારા કરી શિક્ષણની ગુણવત્તા વધારવા વિવિધ દ્રષ્ટાંતો, પ્રવૃત્તિઓ તથા ઉદાહરણો દ્વારા શિક્ષકોને માહિતગાર કરાયા હતાં. તેમના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીને તેની વયકક્ષા અનુસાર અને પુસ્તકમાં અપાયેલ ઉદ્દેશને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા જોઈએ. આ ટ્રેનિંગ અંતર્ગત શિક્ષકો વિવિધ પેડાગોજીકલ પદ્ધતિઓ, વિવિધ શિક્ષણની પ્રવૃત્તિઓ તથા કેસ સ્ટડી અંગે શિખ્યા હતાં. ડિઝીટલ ટુલ્સ અને ટેકનોલોજીનો શિક્ષણમાં વધી રહેલ ઉપયોગ અંગે જણાવી અપડેટ થવા જણાવ્યુ હતું. તેમણે અલગ અલગ ગ્રુપ બનાવી શિક્ષકોને વિવિધ કાર્યોની સોંપણી કરી ટ્રેનિંગ દ્વારા શિક્ષકોમાં સંશોધન, સંકલન, સહકાર તથા એકતા જેવો ગુણોના વિકાસ અર્થે તાલીમ આપી હતી. તાલીમ દરમ્યાન કેટલાક શિક્ષકોને નેટવર્કિંગ અર્થે વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓનું નિર્દેશન કર્યું હતું. આ તાલીમના અંતે શિક્ષકો મનોવૈજ્ઞાનિક સમજશક્તિમાં વધારો કર્યો હતો. બાળકોને તેમની સર્જનાત્મકતા, અભ્યાસ અભિગમ અને મૂલ્યાંકન પદ્ધતિઓના મહત્વ વિશે સમજાવ્યુ હતું. આ ટ્રેનિંગના અંતે શિક્ષકોમાં આત્મવિશ્વાસની સાથે વ્યવસાય વિકાસનો વધારો જોવા મળ્યો હતો.
ગુરુકૃપા વિદ્યાલયની સાથે સાથે અડાજણ વિસ્તારની નવસર્જન વિદ્યાલય, હસતાં ફૂલ વિદ્યાલય તેમજ સંસ્કાર જ્યોતિ વિદ્યાલયના કુલ 150 થી વધારે શિક્ષકોએ પ્રશ્નોત્તરી તથા તાલીમમાં વિચારોના આદાન-પ્રદાન દ્વારા ભાગ લઈને ટ્રેનિંગ સફળ બનાવી હતી. તાલીમ આયોજન બદલ સંસ્કાર જ્યોતિ વિદ્યાલયના રાજુ સાવલિયા તથા નવસર્જન વિદ્યાલયના સંચાલક જયેશસિંહ પરમાર દ્વારા આયોજકોને અભિનંદન અપાયા અને હસતાં ફુલના સંચાલક ફરદુ વૈભવભાઈ દ્વારા આયોજકોનો આભાર માન્યો હતો.
અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા ( ઓલપાડ )